

નવી દિલ્હી, 09 જુન, (હિ.સ.) દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મુખ્યાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક વિશાળ પ્રદર્શન યોજ્યું છે. તેનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સેવા, સુશાસન અને લોક કલ્યાણના નવા યુગમાં પ્રવેશી ચૂક્યો છે અને તેઓ ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાના માર્ગ પર છે. પક્ષના મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓ માટેનું પ્રદર્શન ચિત્રો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની 12 વર્ષની મુખ્ય સિદ્ધિઓ દર્શાવે છે.
નીતિન નવીને કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં ગરીબોના કલ્યાણ, ખેડૂતોની સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવાનો માટે તકો, આરોગ્ય સેવાઓનું વિસ્તરણ, ડિજિટલ પરિવર્તન અને માળખાગત સુવિધાના અભૂતપૂર્વ વિકાસને નવી ગતિ મળી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીની 'પ્રધાન સેવક' ની ભાવના અને સેવા પ્રત્યેના સમર્પણથી દેશને પરિવર્તનની નવી દિશા મળી છે. તે જ સમયે, તેમણે સામૂહિક પ્રયાસો દ્વારા 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ, એનડીએ સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આ સમયગાળો વિશ્વાસ, વિકાસ અને લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યો છે. તેમણે કહ્યું કે, 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવનાથી યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત વિકાસથી માંડીને ડિજિટલ ક્રાંતિ સુધી ભારતે, વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી છે અને સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ