
પાટણ, 09 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ@2047' અભિયાન હેઠળ તમામ નવ તાલુકાના ગામોમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાગૃતિ રેલીઓ, સાયકલ રેલીઓ, બાઇક રેલીઓ અને પદયાત્રાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. નદી અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી એકત્ર કરાયેલો પ્લાસ્ટિક કચરો યોગ્ય નિકાલ માટે નગરપાલિકાને સુપરત કરવામાં આવ્યો હતો.
પ્લાસ્ટિક મુક્ત સિદ્ધપુરના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમોમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સ્વયંસેવકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટીતંત્રએ સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ