જામનગર જિલ્લાના લાલપુર નજીક આરીખાણા પાસે સ્કોર્પિયો કારની અડફેટે વૃદ્ધનું મૃત્યુ
જામનગર, 09 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા પાટિયા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક બુઝુર્ગનું મૃત્યુ નિપજતાં પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી જયસુખભાઈ જયંતીલાલ મારડીયા (ઉ.વ. 50, રહે મુરીલા) લાલપુર
અકસ્માત


જામનગર, 09 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા પાટિયા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક બુઝુર્ગનું મૃત્યુ નિપજતાં પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી જયસુખભાઈ જયંતીલાલ મારડીયા (ઉ.વ. 50, રહે મુરીલા) લાલપુરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા જયંતીલાલ મોહનલાલ મારડીયા (ઉં.વ-70) તા.07/06/2026ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે પોતાનું જીજે-10-એએ-0708 નંબરનું બાઇક લઈને હરીપર તરફથી મુરીલા જઈ રહ્યા હતા.

તે દરમિયાન આરીખાણા પાટિયા નજીક પહોંચતા લાલપુર તરફથી પૂરઝડપે આવી રહેલી કાળા રંગની સ્કોર્પિયો કાર (જીજે-10-ઈસી-9602)ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જયંતીલાલ મારડીયાને માથા, પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે લાલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે પુત્ર જયસુખભાઈ મારડીયાની ફરિયાદના આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાના ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande