
પાટણ, 09 જૂન (હિ.સ.) સમી પંથકમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની અછત અંગે સતત ફરિયાદો ઉઠી રહી હતી. અનેક ગામોમાં ઘરો સુધી પૂરતું પીવાનું પાણી પહોંચતું ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને પાણી પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સમી તાલુકાના બાબરી, ચાંદરણી સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના જોડાણો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિશેષ અભિયાન હાથ ધરી આશરે 200થી વધુ ભુતિયા પાણી કનેક્શનો દૂર કર્યા હતા.
વિભાગની આ કાર્યવાહીથી પાણીના વિતરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી પૂરતું પાણી ન મળતા ગ્રામજનોએ આ પગલાને આવકાર્યું હતું અને ભવિષ્યમાં પણ તેમની જરૂરિયાત મુજબ નિયમિત અને પૂરતો પાણી પુરવઠો મળી રહે તેવી માંગ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ