
પાટણ, 09 જૂન (હિ.સ.) સમી તાલુકાના ગુજરવાડા ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ગામના સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતના સદસ્યની વિશેષ ઉપસ્થિતિમાં આશરે 50 જેટલા વિવિધ પ્રજાતિના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ જાગૃતિ માટે 200થી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ રોપાઓ સ્વીકારી પોતાના ઘર, ખેતર અને જાહેર સ્થળોએ તેનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો. ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષોના પર્યાવરણ અને માનવજીવનમાં રહેલા મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણને અસરકારક ઉપાય ગણાવી રોપાઓના યોગ્ય ઉછેર અને જતન પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ગામને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ