
પટના, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) બિહાર કેડરના 2005 બેચના ભારતીય વહીવટી સેવા (આઇએએસ) અધિકારી દિવ્યેશ સેહરાને, કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ, નવી દિલ્હીમાં સંયુક્ત સચિવના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં બિહાર સરકારના સામાન્ય વહીવટી વિભાગે અધિસૂચના જારી કરીને તેમને તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે.
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલી અધિસૂચના (સંખ્યા-1/પી०-2004/2026-સા०प्र०-13658) અનુસાર, રાજ્યપાલના આદેશથી આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. વિભાગના અવર સચિવ સિદ્ધેશ્વર ચૌધરી દ્વારા, જારી કરાયેલી અધિસૂચનામાં દિવ્યેશ સેહરાને તાત્કાલિક અસરથી વર્તમાન પદ પરથી કાર્યમુક્ત કરીને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર નવી જવાબદારી સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
દિવ્યેશ સેહરા હાલમાં બિહાર સરકારના ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ વિભાગમાં સચિવના પદ પર કાર્યરત હતા. આ ઉપરાંત, તેમની પાસે સામાન્ય વહીવટી વિભાગ હેઠળ તપાસ કમિશનરનો વધારાનો હવાલો પણ હતો. તેમના વહીવટી કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને વહીવટી કાર્યક્ષમતા માટે ઓળખ બનાવી છે.
રાજ્ય સરકારમાં લાંબા વહીવટી અનુભવના આધારે કેન્દ્ર સરકારે તેમને નાણાકીય સેવાઓ વિભાગ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયમાં સંયુક્ત સચિવનો કાર્યભાર સોંપ્યો છે. એવું માનવામાં આવે છે કે નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા નીતિગત અને વહીવટી બાબતોમાં તેમના અનુભવનો લાભ કેન્દ્ર સરકારને મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ