
નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય ઘણા નેતાઓએ, કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા પરમ વીર ચક્ર વિજેતા અમર શહીદ કેપ્ટન મનોજ કુમાર પાંડેને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી.
શુક્રવારે એક એક્સ-પોસ્ટમાં કેપ્ટન મનોજ કુમાર પાંડેને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપતા બિરલાએ કહ્યું કે, કારગિલ સંઘર્ષ દરમિયાન તેમણે બટાલિક ક્ષેત્રમાં રાષ્ટ્ર પ્રત્યે હિંમત, નેતૃત્વ અને સમર્પણ દર્શાવ્યું. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના સાથીઓનું નેતૃત્વ કરીને તેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. ભારતીય સેનાના ઇતિહાસમાં તેમની હિંમત, સમર્પણ અને બલિદાન હંમેશા યાદ રહેશે. કેપ્ટન પાંડેનું જીવન અને રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ, હંમેશા આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.
શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ માટીનો દરેક કણ હંમેશા મનોજ કુમાર પાંડે જેવા બહાદુર પુત્ર પર ગર્વ કરશે, જેમણે ભારત માતાના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, મનોજ કુમાર પાંડેની અપ્રતિમ બહાદુરી, અતૂટ દેશભક્તિ અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. રાષ્ટ્ર હંમેશા તેમના બહાદુરી અને બલિદાનનું ઋણી રહેશે.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કેપ્ટન મનોજ કુમાર પાંડેને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે તેમનું સર્વોચ્ચ બલિદાન હંમેશા આપણને બધાને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપશે.
શ્રદ્ધાંજલિ આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, માતૃભૂમિની રક્ષા માટે તેમનું સર્વોચ્ચ બલિદાન અને બહાદુરી હંમેશા રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, રાષ્ટ્રની રક્ષા અને અખંડિતતા માટે તેમનું સર્વોચ્ચ બલિદાન અને અદમ્ય હિંમત હંમેશા દેશવાસીઓને રાષ્ટ્રની સેવા કરવા અને તેમની ફરજ પ્રત્યે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ, કેપ્ટન પાંડેને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કારગિલ યુદ્ધના અમર શહીદને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેમની અદમ્ય હિંમત અને સર્વોચ્ચ બલિદાન હંમેશા દેશના દરેક નાગરિકને પ્રેરણા આપશે.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન પાંડેનો શહીદ દિવસ 3 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1999ના કારગિલ યુદ્ધ (ઓપરેશન વિજય) દરમિયાન બટાલિક સેક્ટરમાં ખાલુબાર શિખરને પાકિસ્તાની ઘુસણખોરોથી મુક્ત કરાવતી વખતે, તેઓ 3 જુલાઈ, 1999ના રોજ શહીદ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ