
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ શનિવારે બે મોટા બેંક છેતરપિંડીના મામલાઓમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. આ કેસોમાં કુલ 231 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો આરોપ છે.
સીબીઆઈએ જણાવ્યું કે, પહેલો કેસ મુંબઈ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે નોંધાયો છે, જેમાં આરએલ જવેલ્સ લિમિટેડ અને તેના નિર્દેશકો પર ફોજદારી સાંઠગાંઠ, છેતરપિંડી, વિશ્વાસઘાત, સંપત્તિના દુરુપયોગ અને નકલીકરણનો આરોપ છે. આ કેસમાં બેંકને લગભગ 103.58 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આરોપ છે કે કંપનીએ નાણાંનો દુરુપયોગ કર્યો, અન્ય બેંકોના ખાતાઓ મારફતે ફંડ ટ્રાન્સફર કર્યા અને રેકોર્ડમાં હેરફેર કરી.
બીજો કેસ કેનરા બેંકની ફરિયાદના આધારે નોંધાયો છે, જેમાં અશાપુરા ગારમેન્ટ્સ લિમિટેડ અને તેના નિર્દેશકો પર બેંકિંગ કન્સોર્ટિયમને ઠગવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, કંપનીએ કાપડ ઉદ્યોગ માટે આપવામાં આવેલી બેંક સુવિધાઓને અન્ય ક્ષેત્રોમાં વાળી દીધી અને સ્ટીલ, એલ્યુમિનિયમ તથા કોલસાના વેપારમાં ઊંચા મૂલ્યના વ્યવહારો કર્યા. આ છેતરપિંડીથી બેંકોને લગભગ 128.23 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
સીબીઆઈએ જણાવ્યું કે, એજન્સીએ શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તેમાં આરોપીઓના રહેણાંક પરિસરો, વ્યાવસાયિક સ્થાપનો અને કંપનીઓના કાર્યાલયોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા છે, જેમાં નાણાંના ડાયવર્ઝન અને સાંઠગાંઠ સંબંધિત રેકોર્ડનો સમાવેશ થાય છે.
સીબીઆઈએ જણાવ્યું કે, મળેલી સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર ષડયંત્ર, નાણાંનો પ્રવાહ અને તમામ સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા જાણી શકાય. કેસમાં વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ