
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.)
મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિના ભાગ રૂપે, ગૃહ મંત્રાલયે
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (યુએપીએ) હેઠળ 23 વધુ આતંકવાદીઓને જાહેર કર્યા છે. આ કાર્યવાહીથી યુએપીએની
ચોથી અનુસૂચિ હેઠળ જાહેર કરાયેલા આતંકવાદીઓની સંખ્યા 80 થઈ ગઈ છે. 23 નિયુક્ત
આતંકવાદીઓમાંથી 17 પાકિસ્તાની
નાગરિકો અને છ ભારતીય નાગરિકો છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ આતંકવાદીઓને ઔપચારિક
જાહેર કરવાથી તેમના નાણાકીય નેટવર્ક, હિલચાલ, ભરતી ક્ષમતાઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ મળશે
અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની સામે કાનૂની કાર્યવાહી વધુ મજબૂત
બનશે.”
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર જણાવ્યું હતું
કે,”વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના આતંકવાદ પ્રત્યે, ઝીરો ટોલરન્સ અભિગમને આગળ ધપાવતા, પ્રતિબંધિત
સંગઠનો સાથે સંકળાયેલા 23 ભયાનક
આતંકવાદીઓને યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે.” તેમણે કહ્યું કે,” આ
આતંકવાદીઓ, ભારત વિરોધી પ્રવૃત્તિઓ, આતંકવાદી હુમલાઓ, હથિયારોની દાણચોરી, સરહદ પારથી ઘૂસણખોરી, આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદીઓની ભરતી કરવામાં
સામેલ છે.”
શાહે કહ્યું કે,” મોદી સરકાર ભારત અને તેના નાગરિકોની સુરક્ષા માટે,દરેક આતંકવાદી મોડ્યુલને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.”
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 23 નિયુક્ત આતંકવાદીઓમાં 17 પાકિસ્તાની અને છ ભારતીય નાગરિકો છે. બધા હાલમાં પાકિસ્તાન
અથવા પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (પીઑકે) થી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
પાકિસ્તાની આતંકવાદીઓમાં મસૂદ ઇલ્યાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ
અસગર ખાન, હાફિઝ અબ્દુલ
શકૂર, અબ્દુલ્લાહ
જેહાદી, ગુલામ ફરીદ, અશફાક અહેમદ, મૌલાના
ઇમદાદુલ્લાહ મક્કી અને વસીમ નૂર જાટનો સમાવેશ થાય છે, જે જૈશ-એ-મોહમ્મદ
(જેઇએમ) સાથે જોડાયેલા છે. આ સિવાય અબ્દુલ રઉફ, હાફિઝ ખાલિદ
વાલીદ, મૌલાના સૈફુલ્લાહ
ખાલિદ, મોહમ્મદ યાકુબ, મૌલાના યુસુફ
તૈબી, કારી યાકુબ શેખ, રાણા ઈફ્તિખાર
અને મોહમ્મદ શાહિદ ફૈઝલ લશ્કર-એ-તૈયબા (લેઇટી), જમાત-ઉદ-દાવા (જેયુડી-મુસ્લિમ ફાઉન્ડેશન), મરકજી મુસ્લિમ ફાઉન્ડેશન, પાકિસ્તાન ફાઉન્ડેશન અલ-કાયદા અને આઈએસઆઈએસ જેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
ભારતીય આતંકવાદીઓમાં ફિરદૌસ અહેમદ ભટ, હારૂન રાશિદ ગનાઈ, બિલાલ અહેમદ મીર, આબિદ કયૂમ લોન, નઝીર અહેમદ
ગુજ્જર અને ઓવૈસ ફારૂકનો સમાવેશ થાય છે. આમાંથી ફિરદૌસ અહેમદ ભટ, હારૂન રશીદ ગનાઈ, આબિદ કયૂમ લોન, નઝીર અહેમદ
ગુજ્જર અને ઓવૈસ ફારુઝ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે, જ્યારે બિલાલ
અહેમદ મીર પણ લશ્કર-એ-તૈયબા તેમજ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) સાથે સંકળાયેલા
છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ બધા ભારતીય નાગરિકો હાલમાં પાકિસ્તાન અથવા પીઓકેમાંથી
આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.”
મંત્રાલયે જણાવ્યું હતું કે,” આ આતંકવાદીઓને સૂચિબદ્ધ
કરવાનો હેતુ તેમના આતંકવાદી નેટવર્કને તોડી પાડવાનો, તેમના નાણાકીય સ્ત્રોતોને કાપી નાખવાનો, ભરતી અને
સ્થળાંતર કરવાની તેમની ક્ષમતાને નાબૂદ કરવાનો અને આતંકવાદ સામે ભારતના કાનૂની અને
સુરક્ષા પ્રતિભાવને વધારવાનો છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ