

પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ઝવેરી બજારમાં સોના-ચાંદીનો વ્યવસાય કરતા સેવંતીલાલ પંચાલનું ગતરોજ અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર સિદ્ધપુર ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમવિધિ પૂર્ણ કરીને પરિવારજનો પાટણ પોતાના ઘરે પરત ફર્યા હતા.
દરમિયાન રાત્રિના સમયે સેવંતીલાલ પંચાલના મોટા પુત્ર વિજય પંચાલ (ઉ.વ. 48)ને અચાનક હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ તેમનું પણ અવસાન થયું હતું. પિતાના અગ્નિસંસ્કારના થોડા કલાકોમાં જ પુત્રનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
એક જ પરિવારમાં ગણતરીના કલાકોમાં બે સભ્યોના મોતથી સગા-સંબંધીઓ અને પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. ઘટનાના પગલે પાટણ ઝવેરી બજારના વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો. વિજય પંચાલના પરિવારમાં પત્ની, બે સંતાનો તેમજ દાદી અને નાના ભાઈ-ભાભી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ