
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.)ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં પાટણ નગરપાલિકાને શહેરના સર્વાંગી વિકાસ માટે રૂ.7.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ માટે યોજાયેલા આ સમારોહમાં કુલ રૂ.3,850 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા નગરપાલિકાઓ માટે રૂ.858 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણ નગરપાલિકા વતી પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલમ પટેલ અને કોર્પોરેટર રોહિત પટેલે ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો હતો. ફાળવાયેલી રકમનો ઉપયોગ શહેરમાં વિવિધ વિકાસકામો, માળખાકીય સુવિધાઓ અને નાગરિકલક્ષી કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ