
ભાવનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાવનગર શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રાના આયોજન અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
તિરંગા યાત્રા તા. ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે એ.વી. સ્કૂલ મેદાન ખાતેથી પ્રસ્થાન કરશે. યાત્રા ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, ઘોઘા ગેટ, એમ.જી. રોડ, વોરા બજારનું નાકું, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા, શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ ચોક સહિતના માર્ગો પરથી પસાર થઈ પરત એ.વી. સ્કૂલ મેદાન ખાતે પૂર્ણ થશે.
યાત્રામાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, એન.એસ.એસ. તથા એન.સી.સી.ના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક એનજીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
તિરંગા યાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી કામગીરી સોંપવામાં આવી છે. યાત્રા પૂર્ણ થયા બાદ સમગ્ર રૂટ પર તાત્કાલિક સફાઈ થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સમગ્ર આયોજનને સુચારુ રીતે પાર પાડવા માટે ૨૪ જેટલા વિવિધ વિભાગોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. બેઠકમાં મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA