
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : ઊંઝા શહેરની બ્રાહ્મણ શેરી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય હિડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સંત શાસ્ત્રી સ્વામી અનુપમ દાસ અને શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશ દાસજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એક માસ સુધી દરરોજ અલગ અલગ થીમ આધારિત હિડોળા દર્શનનું આયોજન કરાયું છે.
મહોત્સવ દરમિયાન ભગવાનને દરરોજ વિવિધ પ્રકારના આકર્ષક અને ભાવસભર હિડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. ચલણી નોટો, રૂપિયાના સિક્કા, આંબાના પાન, શંખ-છીપલા, ગુલાબના ફૂલો, વિવિધ ફળો, અનાજ અને કઠોળ જેવા વિવિધ શણગારથી હિડોળા તૈયાર કરવામાં આવે છે. બાળકોને આકર્ષે તે માટે ચોકલેટ અને બિસ્કિટનો ઉપયોગ કરીને પણ વિશેષ હિડોળા તૈયાર કરવામાં આવે છે.
મંદિરના હિડોળા મહોત્સવને લઈને હરિભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહોત્સવની વ્યવસ્થા અને વિવિધ શણગારની કામગીરીમાં મંદિરના હરિભક્તો તથા સેવાભાવી યુવકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે આવી ભગવાનના હિડોળા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વિવિધ થીમના મનમોહક શણગાર અને ભક્તિમય વાતાવરણને કારણે મંદિર પરિસર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ, સેવા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR