


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એલ.એસ. હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા ભીમચોક, ઝાંપલીપોળ, ટાવર રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.
ત્રિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને નાગરિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ સાંસદ દિલીપ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રામાં સિદ્ધપુર પોલીસ, હોમગાર્ડ, પાલિકા સદસ્યો, ભાજપના હોદ્દેદારો, સહકારી-સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો, શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ ત્રિરંગા યાત્રાએ સિદ્ધપુરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ