
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર તાલુકાની કુણવદર ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન રાજાભાઈ પાતરને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ તા. 4 મે 2022 થી 13 ઓક્ટોબર 2025
દરમિયાન ખાસ પાણી વેરા પેટે વસૂલ
કરાયેલી રકમના વ્યવહારમાં નાણાકીય ગેરરીતિ જણાઈ હતી. તપાસમાં કુલ રૂ.1,55,900 ની વસૂલાત સામે રૂ.1,54,500 રોજમેળમાં જમા લેવાયા હોવાનું તથા રૂ.1,50,890 નોખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે
આવ્યું હતું. ઉપરાંત રૂ.700ની બે પહોંચ મળી કુલ રૂ.1,400ની રકમ રોજ મેળમાં દર્શાવવામાં આવી ન હોવાનું તપાસમાં નોંધાયું હતું.
તપાસ મુજબ પાણી વેરાની રકમ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી. આ ઉપરાંત પાણી વેરા માટેના રેકોર્ડ અને
પહોંચ બુકના સંચાલનમાં પણ ક્ષતિઓ નોંધાઈ હતી. આ મામલે સરપંચને કારણદર્શક નોટિસ આપી ખુલાસાની તક તેમજ ત્રણ વખત રૂબરૂ સુનાવણીની તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ સુનાવણીમાં હાજર રહ્યાન હોવાનું હુકમમાં નોંધાયું છે.
ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીના અભિપ્રાય તથા તપાસના અહેવાલોને આધારે ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya