


મહેસાણા, 13 ઓગસ્ટ (હિ.સ.) : ઐતિહાસિક વડનગરમાં આજે ભક્તિ, સંસ્કૃતિ અને વિરાસતના સંગમ સમાન ‘વડનગર શ્રાવણોત્સવ’નો ભવ્ય પ્રારંભ થયો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારેથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહોત્સવનું ઉદ્ઘાટન કરી ‘ડમરુ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે 108 કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરતાં સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું.
શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી ડમરુ યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા અને જુના ચાચરેથી પસાર થઈ શ્રી સ્વામિનારાયણ મંદિર તથા ગોપાલજી મંદિર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યાત્રામાં સહભાગી બની હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું હતું.
વડનગરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા નાયબ મુખ્યમંત્રીએ ‘વડનગર હેરિટેજ ઓટો રિક્ષા’ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને હેરિટેજ ઓટોરિક્ષામાં સવારી કરી હતી. કાર્યક્રમ બાદ વડનગરના વિકાસકામોની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિવિધ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર શાલિની દુહાન સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR