
જુનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરી દળો/પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી જુનાગઢ જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા ૩૦ દિવસના તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું રહેવા તથા જમવાની સગવડ સાથે આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં શારીરિક અને લેખિત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે.
જેમાં પૂર્વ અયોજનનાં ભાગરૂપે જે કોઈપણ યોગ્ય નાગરિક આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય અને અત્રે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા હોય તો તેઓએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ચાલુ દિવસોમાં રૂબરૂ આવીને આગામી તા.૩૧/૦૮/૨૦૨૬ સુધીમાં અરજી આપી જવા અંગે જણાવવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાતઃ- ધોરણ ૧૦માં ૪૫% સાથે અથવા ધોરણ ૧૨માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉંમર ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષ સુધીની હોવી જોઈએ. શારીરિક યોગ્યતામાં ઉંચાઈ – ૧૬૨ સે.મી., વજન - ૫૦ કિલોગ્રામ, છાતી - ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. સુધી હોવી જોઈએ.
શારીરિક યોગ્યતા કસોટી માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ-અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ શારીરિક અને લેખિત તાલીમ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તેમ ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ જૂનાગઢનિ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ