

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પરત લાવવા ‘સમરસ વિદ્યા સેતુ યોજના’ અંતર્ગત રિજ્યોનલ સાયન્સ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 14,692 ડ્રોપઆઉટ બાળકોમાંથી 12,878 બાળકોને પુનઃ શાળા પ્રવેશ અપાવવાની સિદ્ધિની ઉજવણી કરાઈ હતી.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, બાકી રહેલા બાળકોને પણ શાળામાં પરત લાવવાની કામગીરી ચાલુ રહેશે. વર્ષ 2026-27 સુધીમાં જિલ્લામાં 442 નવા વર્ગખંડો તૈયાર કરવાનું આયોજન છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે પણ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા શિક્ષકોની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પુનઃ પ્રવેશ મેળવનાર બાળકોને ચોપડા કીટ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શાળામાં પરત લાવવામાં નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓ, આચાર્યો અને અધિકારીઓનું સન્માન કરાયું હતું. શિક્ષણની ગુણવત્તા અને હાજરીમાં વધારો કરવા બદલ સાત શાળાઓને ‘સક્ષમ શાળા એવોર્ડ’ પણ એનાયત કરાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ તથા બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ