
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.): સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વાસુ પૂજ્ય રેસીડેન્સીમાં અજગરનું બચ્ચું દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના લોકોએ તાત્કાલિક સ્નેક રેસ્ક્યુ ટીમને જાણ કરતા સ્વયંસેવકો સ્થળ પર પહોંચ્યા અને સુરક્ષિત રીતે અજગરના બચ્ચાને કાબૂમાં લીધું.
વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુઅર દિવ્યેશ પટેલ, ધવલ ભંડારી અને ગૌરાંગ વકીલે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન તે 'ઈન્ડિયન રોક પાયથન' પ્રજાતિનું બચ્ચું હોવાનું સામે આવ્યું. સમગ્ર કામગીરી સાવચેતીપૂર્વક પૂર્ણ કરવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી.
રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ અજગરના બચ્ચાને નિયમ મુજબ વન વિભાગને સોંપવામાં આવ્યું છે. હવે તેને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રજાતિનો અજગર ભાગ્યે જ જોવા મળે છે અને ગયા વર્ષે પણ સુરતમાંથી આવું જ એક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે