
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આયોજિત અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આબુ અધરદેવીથી નીકળેલી અખંડ જ્યોત રથયાત્રા 14 ઓગસ્ટે પાટણ પહોંચી હતી. રથયાત્રાનું સમાજની દીકરીઓ દ્વારા સામૈયા અને આરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
12 ઓગસ્ટે અર્બુદા માતાજીના મૂળ ધામ આબુ અધરદેવીથી પ્રગટાવાયેલી અખંડ જ્યોત વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરીને પાટણ આવી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે રથ ખેંચી માતાજીની જ્યોતની આરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આદર્શ વિદ્યાસંકુલ ખાતે નિર્માણ પામેલા અર્બુદા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે. કર્મકાંડ આચાર્ય અજયકુમાર બી. જોશીના માર્ગદર્શન હેઠળ પ્રાયશ્ચિત વિધાન, અગ્નિ સ્થાપના, નગર શોભાયાત્રા, શોધન હોમ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને મહા આહુતિ સહિતની શાસ્ત્રોક્ત વિધિઓ યોજાશે.
મહોત્સવ અંતર્ગત સમાજ દ્વારા ભક્તિ, સેવા, શિક્ષણ, સંસ્કૃતિ અને એકતાના સંકલ્પો લેવામાં આવ્યા છે. બટુકબાપુના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રસાર કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ