
અમરેલી,14 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી ખાતે 80 મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓ સાથે હૃદયપૂર્વકની ગોષ્ઠિ કરી હતી.
આ ગોષ્ઠિ દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધી તેમના અભ્યાસ, રસ-રુચિ, સપનાઓ અને ભવિષ્યના લક્ષ્યો વિશે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહપૂર્વક પોતાના વિચારો અને ભવિષ્યના સપનાઓ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કર્યા હતા.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને શિક્ષણને જીવનમાં સફળતાની મજબૂત આધારશિલા ગણાવી અભ્યાસમાં સતત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ જાળવવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ શિક્ષણ અને કારકિર્દીના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીનીઓ સાથેનો આ સંવાદ માત્ર ઔપચારિક મુલાકાત પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ તેમના સપનાઓને સમજવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો સંવેદનશીલ પ્રયાસ બન્યો હતો. મુખ્યમંત્રીના પ્રેરણાદાયી શબ્દોથી વિદ્યાર્થીનીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.આ પ્રસંગે શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને યુવાશક્તિને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai