
- અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના સંસ્કાર હોલ ખાતે ઉપસ્થિત સૌએ દેશના વિભાજનની કરુણ ગાથાને યાદ કરી
- બે મિનિટનું મૌન પાળી અપાઈ શ્રદ્ધાંજલિ
રાજપીપલા, 14 ઓગસ્ટ (હિ.સ.) : રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના સંસ્કાર હોલ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નિર્દોષ
નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશના વિભાજનની કરુણ ઘટના અને તેના પરિણામે લાખો પરિવારોને ભોગવવી પડેલી વેદનાથી નવી પેઢી પરિચિત થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2021થી ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને
દેશભક્તોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. પરંતુ દેશના વિભાજન સમયે અનેક પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા અને અસહ્ય પીડાનો સામનો કરવો પડ્યો હતો. આવા તમામ પરિવારોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે.
ભરૂચના સાંસદમનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, દેશના નાગરિક તરીકે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ રાખવું અને નવી પેઢીને તેની જાણકારી આપવી અત્યંત આવશ્યક છે.
આઝાદી બાદ દેશે સર્વાંગી વિકાસ હાંસલ કર્યો છે, જેમાં દરેક નાગરિકનું યોગદાન રહેલું છે. દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ લેવો જોઈએ.
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, વર્ષ 1947માં દેશને આઝાદી મળવાની
ખુશી સાથે દેશના વિભાજનની કરુણ ઘટના પણ જોડાયેલી હતી. તે સમય દરમિયાન અનેક લોકોએ
બલિદાન આપ્યું હતું અને અસંખ્ય પરિવારોને ભારે દુઃખ સહન કરવું પડ્યું હતું. આવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિભાજનથી પ્રભાવિત પરિવારોને નમન કરીને તેમની યાદને જીવંત રાખવી જરૂરી છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, પૂર્વ મંત્રી
મોતી વસાવા, તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ મમતા, અગ્રણી અર્જુન ચૌધરી, સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ