
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર શહેરના બજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કેબીનો અને રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બજાર વિસ્તારમાં દબાણોના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી તેમજ વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો મળી હતી.
ફરિયાદોને પગલે નગરપાલિકાની ટીમે બજાર વિસ્તારમાં પહોંચી ગેરકાયદેસર કેબીનો તથા રસ્તા પર થયેલા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન રસ્તા પરનો વધારાનો કબજો દૂર કરવામાં આવતા બજાર વિસ્તારમાં અવરજવર માટે વધુ જગ્યા ઉપલબ્ધ થઈ હતી.
નગરપાલિકાની આ કાર્યવાહીને પગલે વાહનચાલકો અને રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દબાણો દૂર થતાં બજાર વિસ્તારના રસ્તા ખુલ્લા બનશે અને શહેરમાં વાહનવ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ