




ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું
દેશને મળેલી અમૂલ્ય આઝાદીનું જતન અને સંવર્ધન કરવું એ દરેક નાગરિકની રાષ્ટ્રધર્મ સમાન ફરજ છે
ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી
ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.)
ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 80 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મિશન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રફુલ્લ પાનસેરીયાએ શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, દેશને મળેલી અમૂલ્ય આઝાદીનું જતન અને સંવર્ધન કરવું એ દરેક નાગરિકની રાષ્ટ્રધર્મ સમાન ફરજ છે. આઝાદી બાદ ભારતે કરેલી પ્રગતિનો ઉલ્લેખ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી નેતૃત્વની પણ સરાહના કરી હતી.સમારોહ દરમિયાન પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને પરેડ રજૂ કરવામાં આવી હતી.
વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા આદિવાસી છાત્રોએ દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ખાસ કરીને ત્રાલસા સ્થિત ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.સાથે સાથે જિલ્લામાં દરેક ક્ષેત્રે અદના કામગીરી કરેલ વ્યક્તિઓને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય અરૂણસિંહ રાણા, રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી રાષ્ટ્રધ્વજને વંદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ