
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના વ્યસ્ત ગણાતા રણમલ તળાવ નજીક આવેલા લેકવ્યૂ એપાર્ટમેન્ટની બાજુમાં ઉભા કરાયેલા વિજ ટ્રાન્સફોર્મરમાં આજે સવારે આઠ વાગ્યે, અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પ્રાથમિક વિગતો મુજબ ટ્રાન્સફોર્મરના ઉપરના ભાગમાં આવેલા વાયરમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રાન્સફોર્મરમાંથી આગની લપટો તેમજ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓ, વેપારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક લાખોટા તળાવ પાસે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે, આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt