
ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને રાષ્ટ્રભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે આકાશમાં દેશના સાર્વભૌમત્વના અખંડ પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને સોમનાથ મહાદેવનો ધર્મધ્વજ એકીસાથે લહેરાતા, ઉપસ્થિત ભક્તો અને દર્શનાર્થીઓના હૃદયમાં ધર્મભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની અદભુત લાગણીનો સંચાર થયો હતો.
આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવશ્રી પી. કે. લહેરી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શ્રદ્ધાપૂર્વક ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને અખંડ ભારતના શિલ્પી તેમજ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા માન. પી. કે.લહેરી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ભારતીય સ્વતંત્રતાની સંઘર્ષગાથા અને સ્વાતંત્ર્ય પર્વની ભારતીય ઇતિહાસમાં મહત્વતા વિશે જણાવતા એક અત્યંત પ્રેરણાદાયક વિચાર રજૂ કર્યો હતો. તેઓએ નાગરિકોને અપીલ કરી હતી કે દરેક નાગરિકે રાષ્ટ્રએ તેમના માટે શું કર્યું એ વિચારવાને બદલે, મેં દેશ માટે શું કર્યું? એ દિશામાં આત્મમંથન કરવું જોઈએ અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની વિચારધારા કેળવવી જોઈએ. સાથે તેઓશ્રીએ ઉમેર્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવન સમર્પણ કર્યા છે તેમની ગરિમાનું પ્રત્યેક ભારતીય નાગરિકે સન્માન કરવું જોઈએ.
સ્વાતંત્ર્ય પર્વની આ ગૌરવશાળી ઉજવણીમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીગણ, પોલીસ અધિકારીઓ અને સુરક્ષાબળના જવાનો, સ્થાનિક પુરોહિતઓ તેમજ દેશના ખૂણે-ખૂણેથી પધારેલા યાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
આજના વિશેષ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અત્યંત નયનરમ્ય એવો 'ત્રિરંગા શૃંગાર' કરવામાં આવ્યો હતો. ભક્તિ અને દેશપ્રેમના આ અનોખા સંગમ સમું મહાદેવનું આ સ્વરૂપ દર્શનાર્થીઓ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ