








પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે 80 મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું આ તકે જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા પણ પરેડ નિરીક્ષણમાં સાથે જોડાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ ભારત દેશના 80 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશભક્તિના રંગે રંગાઈને આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.
તેમણે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિવીરો તેમજ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના રાષ્ટ્રના સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું નિર્માણ કરવાનો સંકલ્પ સાકાર થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્ય પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ સાથે વિકસિત ભારત'નું નિર્માણ કરવાનો સંકલ્પ સાકાર કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો સરળતાથી અને વહેલી તકે પહોંચાડવા કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બાર વર્ષમાં ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, જલ જીવન મિશન, પીએમ આવાસ યોજના સહિતની વિવિધ પહેલોથી દેશના વિકાસને નવી ગતિ મળી છે. અંતરિક્ષ, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, સંરક્ષણ ઉત્પાદન, કૃત્રિમ બુદ્ધિમત્તા અને નવીનતાના ક્ષેત્રે પણ ભારત આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન હવે સમગ્ર દેશનો સંકલ્પ બન્યું છે.
ગુજરાતના વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, કૃષિ, સિંચાઈ, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા અને ડિજિટલ ગવર્નન્સ સહિતના ક્ષેત્રોમાં વિકાસની ગતિ આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા, મહિલાઓની સુરક્ષા, સાયબર ગુનાઓ સામેની કામગીરી અને આધુનિક પોલીસિંગને પણ મજબૂતી મળી છે.
પોરબંદરના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની નગરી પોરબંદર ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના સતત પ્રયાસોથી પોરબંદર ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે.
કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્કથી સ્થાનિક યુવાનો અને ટેકનિશિયનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ MSME અને મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે. પોરબંદરને વૈશ્વિક કક્ષાના ફર્નિચર ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રવાસન ક્ષેત્રે બરડા વિસ્તારના સફારી પાર્ક, મોકર સાગર વેટલેન્ડ, સર્વોદય વનના વિકાસ, સુદામા મંદિર, માધવપુર તથા ચોપાટી સહિતના વિકાસકાર્યો પોરબંદરના પ્રવાસનને નવી ઓળખ આપશે. તેનાથી પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે સ્થાનિક રોજગાર અને વ્યવસાયની તકોને પણ વેગ મળશે.
તેમણે જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા નાગરિકોને વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈ જિલ્લાના વિકાસને રૂબરૂ નિહાળવાની તક મળી હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી વિવિધ વિકાસલક્ષી કામગીરી તથા યોજનાકીય સિદ્ધિઓની પણ તેમણે માહિતી આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આપવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના જીવનમંત્રને જીવનમાં ઉતારી જમીની સ્તરે તેને સાકાર કરનારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મેળવી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અને પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવા આહ્વાન કર્યું હતું.
અંતમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની ધરતી પરથી સત્ય, અહિંસા, સ્વચ્છતા, રાષ્ટ્રપ્રેમ અને કર્તવ્યનિષ્ઠાના મૂલ્યોને જીવનમાં ઉતારી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગમાંથી પ્રેરણા મેળવી દેશ અને પોરબંદરના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે મહેર રાસ મણિયારો, ડાન્સ માર્શલ એકેડમી, કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાપટ, એકસ્ટ્રીમ ફિટનેસ કેર સહિતના ગ્રુપ દ્વારા દેશભક્તિની થીમ આધારિત વિવિધ નૃત્ય પ્રદર્શન સહિતનો સાસ્કૃતિક કાર્યક્રમ તેમજ જિલ્લા પોલીસ ડોગ ઝાયલો અને રેમ્બો દ્વારા ડોગ શો સહિતના દેશભક્તિ થીમ આધારિત સાંકૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ તકે સર્વ મામલતદાર ભરત સંચાણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી વી કે પરમાર સહિત સંલગ્ન ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મોહિતભાઈ ગોરાણીયા, થેનિલ પાટીલ, ભાવના વેગડા, વર્ષા પરમાર, જીવાભાઇ ચાવડા, જેઠાભાઈ હૂણ, આરતી ભટ્ટ, હીનાબેન કુબાવત, રાજેશભાઈ, મનુભાઈ મોકરીયા, નેન્સી પંચાલ, ધવલભાઇ ખૂટી, શાહનવાજ દાઉદભાઈ સહિત જિલ્લા પોલીસના ત્રણે ડોગ હેન્ડલરનું મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં પ્રથમ ક્રમ મેળવનાર ડાન્સ માસ્ટર એકેડમી, દ્વિતીય ક્રમ મેળવનાર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, તૃતીય ક્રમ મેળવનાર ચામુંડા ગરબા ક્લાસીસ તેમજ સહભાગી થનાર કસ્તુરબા બાલિકા વિદ્યાલય, ઉત્સાહી ગરબા ક્લાસીસના પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેકટરએ પોરબંદર તાલુકા વિકાસ અધિકારી અને પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદીને અર્પણ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મનપા મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, મનપા કમિશનર ટી સી તીરથાણી,નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા પુરવઠા અધિકારી હર્ષવર્ધન જાડેજા, નાયબ ચૂંટણી અધિકારી મનહર દેસાઈ, નાયબ કલેકટર ભાવિન કથીરીયા,પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા, ડીવાયએસપી સુરજીત મહેડુ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો અધિકારીઓ અને બહોળી સંખ્યામાં જિલ્લા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya