દેશભક્તિના રંગે રંગાયું જામનગર : સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ યોજાય 'તિરંગા યાત્રા', 7 હજારથી વધુ નાગરિકો જોડાયા
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર દેશમાં 80 મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું
જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ


જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર દેશમાં 80 મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં 7 હજારથી વધુ જામનગરવાસીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે જોડાઈ રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો.

‘વંદે માતરમ્’ની ભાવનાને સમર્પિત આ ભવ્ય તિરંગા યાત્રામાં ભારત માતા પ્રત્યેની અખંડ શ્રદ્ધા, દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવના પ્રબળ બની હતી. હાથમાં શાનથી લહેરાતા તિરંગા અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર જામનગર જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ હતું. મહાનુભાવોએ લીલી ઝંડી આપી રણમલ તળાવના ગેટ નં. 1 થી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ અને નેવીના આકર્ષક પ્લાટુન, ફાયર, હોમગાર્ડ, એન.સી.સી. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાથમાં તિરંગો ધારણ કરી ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા.રણમલ તળાવથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા રૂપિયા ના સિક્કા સર્કલ થઈ રણજીતનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી. સમગ્ર રૂટ પર ‘વંદે માતરમ્’, ભારત માતા કી જય અને દેશભક્તિના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. તિરંગાની શાન સાથે આગળ વધતી યાત્રામાં નાનાં-મોટાં સૌ કોઈએ રાષ્ટ્રપ્રેમની સામૂહિક અનુભૂતિ કરી હતી.રણજીતનગર ખાતે યાત્રાના સમાપન પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ દેશ માટે બલિદાન આપનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા રાષ્ટ્રનિર્માતાઓને નમન સાથે ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.આ ગૌરવશાળી યાત્રાએ દેશપ્રેમ અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો.યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન રજૂ થયેલા મણિયારો રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત નગરજનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. લોકસંસ્કૃતિ, તિરંગાની આન-બાન-શાન અને ‘વંદે માતરમ્’ની રાષ્ટ્રભાવનાના સુભગ સંગમથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.જામનગરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખતાં તેને જનભાગીદારીના રાષ્ટ્રીય પર્વમાં પરિવર્તિત કરી હતી. ‘વંદે માતરમ્’ની ભાવનાથી ઓતપ્રોત ૭ હજારથી વધુ નગરજનોની સહભાગિતાએ જામનગરની રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને ઉજાગર કરી હતી.આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, મેયર મોનિકા વ્યાસ, ડે. મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણી, શાશક પક્ષ નેતા અમર મોદી, ધારાસભ્ય મેઘજી ચાવડા તથા દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, દંડક પ્રવીણા રૂપડીયા, બીના કોઠારી, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એ.ઝાલા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, પોલીસ-સુરક્ષા તંત્રના અધિકારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં જામનગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande