
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર ખાતે સરકારી નર્સિંગ કોલેજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘જીવન એક ઉત્સવ’ વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જીવન વિદ્યાના વક્તા ઓમ ત્યાગીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી જીવનને આનંદ અને ઉત્સાહ સાથે કેવી રીતે જીવવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ઓમ ત્યાગીએ પોતાના સંબોધનમાં જીવનના વિવિધ પાસાઓનું તર્કબદ્ધ વિશ્લેષણ રજૂ કરી, જીવનને માત્ર પડકારો નહીં પરંતુ ઉત્સવની જેમ માણવાની દૃષ્ટિ વિકસાવવાની વાત કરી હતી. તેમના વિચારોને ઉપસ્થિત શ્રોતાઓએ રસપૂર્વક સાંભળ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, નગરજનો, ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સરકારી નર્સિંગ કોલેજના મેનેજમેન્ટ અને સ્ટાફ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યોએ સંયુક્ત રીતે સંભાળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ