

કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના વિકાસના નકશામાં મુંદરા એરપોર્ટ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહ્યું છે. અદાણી મુંદરા એરપોર્ટના નવનિર્મિત આધુનિક પેસેન્જર ટર્મિનલને કાર્યરત થયાને માત્ર ૫૨ દિવસ થયા છે, ત્યારે જ અહીંથી ૧૦ હજારથી વધુ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. ટૂંકા ગાળામાં મળેલી આ સફળતા મુંદરા સહિત સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત બની છે.
નવા ટર્મિનલની શરૂઆત બાદ મુસાફરોને એરપોર્ટ પર વધુ સુવિધાજનક અને સરળ પ્રવાસનો અનુભવ મળી રહ્યો છે. આધુનિક માળખું, સુવ્યવસ્થિત પેસેન્જર મૂવમેન્ટ અને ઝડપી પ્રક્રિયાઓને કારણે હવાઈ મુસાફરી તરફ લોકોનો વિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને મુંદરાના ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ તેમજ અન્ય મુસાફરો માટે એર કનેક્ટિવિટી સમય બચાવતું અને સુવિધાજનક વિકલ્પ બની રહી છે.
મુંદરા માત્ર કચ્છનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર જ નહીં, પરંતુ બંદર અને આર્થિક પ્રવૃત્તિઓનું વિશાળ કેન્દ્ર પણ છે. મુંદરા પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક તથા SEZ ક્ષેત્રમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકોની અવરજવર રહે છે. આવા સમયે મજબૂત હવાઈ જોડાણથી ઉદ્યોગો, વેપાર અને રોકાણને વધુ ગતિ મળવાની શક્યતા છે.
આ એર કનેક્ટિવિટીનો લાભ કચ્છના પ્રવાસન ક્ષેત્રને પણ મળી શકે છે. ભુજ, ધોળાવીરા, કચ્છનું રણ, માંડવી સહિતના વિવિધ પ્રવાસન સ્થળો સુધી પહોંચવા માટે હવાઈ માર્ગ વધુ ઉપયોગી બનશે. પરિણામે દેશના અન્ય શહેરોમાંથી કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની આશા છે.
માત્ર 52દિવસમાં ૧૦ હજાર મુસાફરોનો આંકડો પાર કરવો એ મુંદરા એરપોર્ટની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. આગામી સમયમાં વધુ સારી કનેક્ટિવિટી અને મુસાફરોની વધતી સંખ્યા સાથે મુંદરા એરપોર્ટ કચ્છના આર્થિક, ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar