
નવસારી, 16 ઓગસ્ટ (હિ.સ.): નવસારી સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં આજે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. વાપીથી કાલિયાકુવા જતી, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ ડેપોમાં પ્રવેશી રહી હતી ત્યારે એક વૃદ્ધ ભિક્ષુક તેની અડફેટે ચઢ્યો હતો. બસનું પાછળનું ટાયર ફરી વળતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, બસ ડેપોના પ્રવેશદ્વાર પાસે વળાંક લઈ રહી હતી ત્યારે ભિક્ષુક અચાનક બસની નજીક આવી ગયો હતો. બસચાલક પ્રયાસ કરે તે પહેલાં જ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ડેપોનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ડેપો વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો અને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે