
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે નિયમ કરતાં વધુ કામ કરાવવામાં આવતું હોવાની અને તેમને પૂરતી ઊંઘ કે ખોરાક ન મળતી હોવાની એક બેનામી ફરિયાદ આવતા ઉહાપોહ મચી ગયો હતો. જે આક્ષેપોના પગલે કોલેજ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ અંગે માહિતી આપતાં, કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ જણાવ્યું કે, આ ફરિયાદને ગંભીરતાથી લઈને તમામ 22 વિભાગના વડાઓ પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો હતો. જેમાં તમામ વિભાગોએ આ આક્ષેપોમાં કોઈ પણ પ્રકારનું તથ્ય ન હોવાનું જણાવ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટરોની પૂરતી કાળજી રાખવામાં આવે છે અને મહિનાઓ સુધી રજા ન મળવાજેવી બાબતો તદ્દન ખોટી છે.
વિદ્યાર્થીઓની સુખાકારી માટે કોલેજમાં ક્યુઆર કોડ સિસ્ટમ, ડીનની ઈ-મેલ આઈડી અને મેન્ટરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ ડર વગર પોતાની રજૂઆત કરી શકે. તેમ છતાં આજદિન સુધી આવી કોઈ ફરિયાદ મળી નથી. ભવિષ્યમાં જો કોઈ વાસ્તવિક સમસ્યા સામે આવશે તો નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt