


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ગોપી પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત ચોરાસી કડવા પાટીદાર સમાજ ફાઉન્ડેશન દ્વારા ‘યુવા-84’ અધિવેશન યોજાયું હતું. સમગ્ર 84 સમાજ પ્રમુખ કે.કે. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 20થી 45 વર્ષની વયના 2,000થી વધુ યુવાનો જોડાયા હતા. સમાજમાં યુવા નેતૃત્વ વિકસાવવા સાથે વ્યસનમુક્તિ માટે પણ આહવાન કરાયું હતું.
અધિવેશનમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા બંધારણ અંગે સમજ અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધારપુર ખાતે મળેલી કારોબારી સભાના ઠરાવ મુજબ વિવિધ તાલુકા અને શહેરી મંડળોના યુવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન પર વિશેષ ભાર મૂકાયો હતો.
આ પ્રસંગે યુવા પાંખની નવી કારોબારીની સર્વાનુમતે જાહેરાત કરાઈ હતી. યુવા પ્રમુખ તરીકે આનંદકુમાર દિનેશભાઈ પટેલ (દાણોદરડા), ઉપપ્રમુખ તરીકે હિરેનકુમાર કાંતિલાલ પટેલ (ખારાધરવા) અને મહામંત્રી તરીકે **નિપુલકુમાર દિનેશભાઈ પટેલ (કમલીવાળા)**ની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા મહેસાણા અર્બન કો.ઓપ. બેન્કના ડિરેક્ટર ગોવિંદભાઈ અંબાલાલ પટેલ (જીતોડા)નો વિશેષ સહયોગ રહ્યો હતો. અધિવેશનમાં અર્બન બેન્કના પ્રમુખ ડી.એમ. પટેલ, ઉપપ્રમુખ તથા લોક અદાલતના કન્વીનર જયંતિભાઈ એ. પટેલ (મુલથાણીયા), મંત્રી ચંદ્રેશકુમાર એમ. પટેલ (મોટીદાઉ), મહામંત્રી લીલાચંદ એચ. પટેલ (ગોરાદ), ખજાનચી પ્રહલાદભાઈ જી. પટેલ (નાગલપુર) અને ઓડિટર ચમનલાલ એમ. પટેલ (કનોડા) સહિત સમાજના વર્તમાન-પૂર્વ હોદ્દેદારો, વિવિધ પાંખોના પ્રતિનિધિઓ, મહિલા મંડળ તથા તાલુકા પ્રમુખો-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ