
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.)
ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસો દ્વારા આયોજિત ‘ઈન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના ‘ક્રિએટિવ ગ્રુપ ઑફ કલ્ચરલ એક્ટિવિટીઝ’ના આશરે 50 જેટલા સભ્યોએ વડનગરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક જૂથે વડનગરની ઐતિહાસિક સ્થાપત્ય વિરાસત, ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક પરંપરાનો પરિચય મેળવ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ પવિત્ર શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંબાજી કોઠા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરતનાટ્યમની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત બહુરૂપી કલાકારો દ્વારા ભગવાન શિવ, ગણેશજી અને કાર્તિકેયજીના પાત્રોની જીવંત રજૂઆત કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જૂથના સભ્યોએ વડનગરના વિવિધ ઐતિહાસિક અને સ્થાપત્ય વિરાસતના સ્થળોની મુલાકાત લીધી હતી. પ્રાચીન નગરીના ઐતિહાસિક મહત્વ અને સ્થાપત્ય વૈભવને નજીકથી નિહાળી સભ્યોએ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો અનુભવ કર્યો હતો.
શ્રાવણ માસની પવિત્રતાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના અંતે શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા વિશેષ ‘શ્રાવણોત્સવ’માં પણ જૂથના સભ્યો જોડાયા હતા. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ, ભવ્ય મહાઆરતી અને રુદ્રીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘ઈન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ દ્વારા ઐતિહાસિક સ્થળો સાથે વડનગરની જીવંત લોકસંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને કલાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદથી આવેલા સાંસ્કૃતિક જૂથ માટે વડનગરની આ મુલાકાત ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક પરંપરાને નજીકથી અનુભવવાનો યાદગાર અવસર બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR