
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના 65મા જન્મદિન નિમિત્તે સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને નોટબુક, પેન્સિલ સહિતની શૈક્ષણિક કીટ, ફળો અને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત કલ્યાણા અન્નક્ષેત્રમાં ભોજન અને જીવદયા પ્રવૃત્તિઓમાં પણ સહયોગ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગામના આગેવાનો શંકરભાઈ પટેલ, ભરતસિંહ રાજપૂત, ડેરી મંત્રી જીતેન્દ્રસિંહ રાજપૂત તેમજ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ તરફથી કાનજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, પિયુષભાઈ ચૌહાણ અને ખેંગારભાઈ ચૌહાણ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ શિક્ષણ, સમાજસેવા અને જીવદયા ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ