

પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર
જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ
વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ તથા ‘સેવા સમાધાન પોર્ટલ’નો
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ વિદ્યાલય, પોરબંદર ખાતે યોજાયો હતો. આ
કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ
મંત્રી કુંવરજી બાવળિયા વર્ચ્યુઅલી જોડાયા
હતા.
આ
પ્રસંગે શ્રમ, રોજગાર
અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ માત્ર
આંકડાકીય માહિતી એકત્ર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ)
બાળકોના ડ્રોપઆઉટ પાછળના સામાજિક કારણો શોધી તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ
સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા પર ભાર
મૂકતા તેમણે જણાવ્યું હતું કે, એક દીકરી ભણે છે ત્યારે સમગ્ર પરિવાર અને આવનારી પેઢીનો વિકાસ થાય
છે. તેથી સ્થળાંતર કરતા પરિવારોના બાળકોની શિક્ષણયાત્રા ન અટકે તે માટે વહીવટી
તંત્ર, શાળા
વ્યવસ્થાપન સમિતિઓ, ગ્રામ પંચાયતો અને સમાજે લોકભાગીદારીથી સંકલિત પ્રયાસો કરવા જરૂરી
છે.
તેમણે
વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થાની મહત્વપૂર્ણ કડી એવા શિક્ષકોના સેવાકીય પ્રશ્નોના
નિરાકરણ માટે ‘સેવા સમાધાન પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. ટેકનોલોજી આધારિત આ
વ્યવસ્થાથી શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો પારદર્શક અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવામાં
મદદ મળશે. પરિણામે શિક્ષકો વહીવટી પ્રશ્નોની ચિંતાથી મુક્ત થઈને વિદ્યાર્થીઓના
શિક્ષણ અને તેમના ભવિષ્યના ઘડતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વહીવટી
પ્રક્રિયા શિક્ષણના માર્ગમાં અવરોધ ન બને તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત
કરતાં તેમણે ‘બાળકને શિક્ષણ, શિક્ષકને સન્માન અને સમાજને વિશ્વાસ’ના સંકલ્પ સાથે સૌને આગળ વધવા
આહ્વાન કર્યું હતું.
જિલ્લા
પંચાયતના પ્રમુખ શીતલ ઓડેદરાએ શિક્ષણને
રાષ્ટ્રનિર્માણનો મુખ્ય પાયો ગણાવતા જણાવ્યું હતું કે, જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન
રહે તે માટે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ને જનઅભિયાન બનાવવું જરૂરી છે. તેમણે વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ અને
કન્યા કેળવણી જેવા અભિયાનોના પરિણામે ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો હોવાનું તથા
દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમણે
નમો લક્ષ્મી, નમો
સરસ્વતી અને જ્ઞાન સેતુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે થઈ
રહેલી કામગીરીની માહિતી આપી હતી અને પોરબંદર જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર
બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા
શિક્ષણ અધિકારી વિનોદ પરમારે સ્વાગત
પ્રવચન કરી શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરી અને
પહેલોની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના મહેશ કોડિયાતરે આભારવિધિ
કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સી.આર.સી.
કો-ઓર્ડિનેટરો તેમજ પાંચ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું
હતું.
આ
પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, મેયર સાગર મોદી, જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી.તીરથાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના
અધ્યક્ષ જગદીશ સગારકા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુ ચુડાવદરા, અગ્રણી અરસી ખૂટી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા
હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya