
સોમનાથ,28 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા ના ધામળેજ ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના શુભ મુહૂર્તે ધામળેજ બંદર ખાતે સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા ભવ્ય અને વિધિવત સમુદ્ર પૂજન (નાળિયેર પૂજન) કાર્યક્રમ યોજાયો હતો.
સાગર ખેડૂતો અને માછીમારો માટે નવી સિઝનની શરૂઆત પૂર્વે સમુદ્ર દેવના આશીર્વાદ મેળવવાની આ પરંપરાગત વિધિ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરીને નાળિયેર પધરાવીને નવી માછીમારી સિઝનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસે મુહૂર્ત અનુસાર સમુદ્ર દેવનું પૂજન કરી નાળિયેર વિસર્જન કરવામાં આવ્યું.આ ધાર્મિક આયોજન ઘોઘલા ખારવા સમાજના પટેલ રામ સોલંકી તથા ઉપ પટેલ મહેન સોલંકીની વિશેષ ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ સંપન્ન થયું હતું.કાર્યક્રમમાં સમાજના તમામ વડીલો, અગ્રણીઓ, યુવાનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
સમુદ્ર પૂજન બાદ સમાજના આગેવાનોએ તમામ માછીમાર ભાઈઓની નવી સિઝન સુખરૂપ, સુરક્ષિત અને સમૃદ્ધ રહે તેવી સમુદ્ર દેવતાને પ્રાથના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ