
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) પશુપાલનમાં પશુને વર્ષભર પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે જરૂરી છે. ઋતુ પ્રમાણે લીલો ચારો ઉપલબ્ધ ન હોય ત્યારે સાયલેજ પશુપાલકો માટે ઉપયોગી વિકલ્પ બની શકે છે. પશુપાલન વિષય નિષ્ણાંતના જણાવ્યા મુજબ, સાયલેજ એટલે લીલા ઘાસચારાને યોગ્ય ભેજ સાથે હવાચુસ્ત વાતાવરણમાં ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા લાંબા સમય સુધી સાચવીને તૈયાર કરવામાં આવતો સંરક્ષિત ચારો.
મકાઈ, જુવાર અને બાજરી જેવા લીલા ચારાને યોગ્ય સમયે કાપી નાના ટુકડા કરી સારી રીતે દબાવી હવાચુસ્ત રીતે સંગ્રહવામાં આવે છે. જ્યારે તાજો લીલો ચારો ઋતુ પ્રમાણે ઉપલબ્ધ થાય છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી, ત્યારે યોગ્ય રીતે તૈયાર કરેલું સાયલેજ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
નિષ્ણાંતના જણાવ્યા મુજબ, સાયલેજને લીલા ચારાનો સંપૂર્ણ વિકલ્પ માનવાને બદલે પશુના સમગ્ર દૈનિક રેશનના એક ભાગ તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે સૂકો ચારો અને સંતુલિત પશુઆહાર આપવો જરૂરી છે. પ્રથમ વખત સાયલેજ આપતી વખતે ઓછી માત્રાથી શરૂઆત કરી ધીમે ધીમે પ્રમાણ વધારવું જોઈએ.
સાયલેજમાં ફૂગ, અસામાન્ય દુર્ગંધ અથવા સડવાના લક્ષણો જણાય તો તે પશુને ન આપવું. યોગ્ય ગુણવત્તાનું સાયલેજ અગાઉથી તૈયાર રાખવાથી ચારા વ્યવસ્થાપનમાં પશુપાલકોને સરળતા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR