
નવી દિલ્હી, 4 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, કોંગ્રેસ અને એનડીએ ગઠબંધન પર સંસદીય કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવ્યો. ભાજપે કહ્યું કે, સંસદના એક સત્ર પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં ચોમાસુ સત્ર શરૂ થયા પછી પ્રશ્નકાળ યોજાયો નથી, શૂન્યકાળ ખોરવાયો છે, અને લગભગ કોઈ બિલ પર ચર્ચા થઈ રહી નથી.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ, મંગળવારે પાર્ટી મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો. પાત્રાએ કહ્યું કે, ઝારખંડમાં જેપીએસસી પરીક્ષાને લઈને હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમના સમર્થનમાં બોલતી નથી કે સંસદમાં આ મુદ્દો ઉઠાવતી નથી. તેમણે કહ્યું કે, આ મુદ્દા અંગે કોંગ્રેસના હાથમાં એક પણ પ્લેકાર્ડ જોવા મળ્યું નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેનો વિરોધ ફક્ત પસંદગીભર્યો આક્રોશ છે.
સંબિત પાત્રાએ કર્ણાટક પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં કથિત પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે વિદ્યાર્થીઓએ આ મુદ્દા પર વિરોધ કર્યો અને પ્રિયંક ખડગેને જવાબદારી લેવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ પહેલા 25 દિવસ માટે ભૂખ હડતાળ કરવી જોઈએ, પછી તેમના પર લાઠીચાર્જ કરવામાં આવશે, અને પછી જ તેઓ તેમના રાજીનામાની ચિંતા કરશે.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ સમગ્ર મુદ્દા પર મૌન રહ્યા છે. પાત્રાએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દા પર લાંબુ ભાષણ આપ્યું હતું, જે યોગ્ય છે, કારણ કે તે ચર્ચાને પાત્ર છે. જો કે, જ્યારે તેમના પુત્રએ કર્ણાટકમાં આ જ મુદ્દા પર કથિત રીતે અસંવેદનશીલ અને અમાનવીય નિવેદનો આપ્યા હતા, ત્યારે રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો ન હતો.
ભાજપના સાંસદે એવો પણ આરોપ લગાવ્યો કે, વિપક્ષ સંસદમાં મહત્વપૂર્ણ બિલોની ચર્ચા થવાથી રોકી રહ્યું છે. તેમણે કહ્યું કે જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026 માં નાગરિકોના જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, પરંતુ કોંગ્રેસ અને તેના સાથીઓએ એક પણ દિવસ માટે તેની ચર્ચા થવા દીધી નહીં.
તેમણે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બેંકર્સ બુક્સ એન્ડ એવિડન્સ બિલ, 2026 પણ બેંકિંગ સિસ્ટમ સાથે સંકળાયેલા લાખો લોકોના હિત માટે એક મહત્વપૂર્ણ બિલ છે. જોકે, ગૃહમાં સતત હોબાળાને કારણે, જનતા તેના પર કોઈ અર્થપૂર્ણ ચર્ચા સાંભળી શકતી નથી. વિપક્ષ સંસદમાં હંગામો મચાવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ