
અમરેલી,07 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, “ગામડે પહોંચે શ્રેષ્ઠ સારવાર, સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ” રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને શહેર જેવી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પોતાના ગામ નજીક જ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત નવા આરોગ્ય માળખાનું નિર્માણ કરી રહી છે અને આધુનિક સુવિધાઓથી આરોગ્ય કેન્દ્રોને સજ્જ બનાવી રહી છે.
નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતા-બાળ આરોગ્ય સેવાઓ, સામાન્ય સારવાર, રસીકરણ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે. જેના કારણે આંબરડી તથા આસપાસના ગામોના હજારો લોકોને સમયસર અને સરળ આરોગ્ય સેવા મળશે તેમજ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.
ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં આ નવું આરોગ્ય કેન્દ્ર મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai