
મહેસાણા, 08 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિસનગર તાલુકાના સદુથલા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિષ્ણુભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી ખેતી અને પ્રાકૃતિક પદ્ધતિ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લોકોને તંદુરસ્ત જીવન આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી તબક્કાવાર પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને શરૂઆતમાં ખેતરના ઓછામાં ઓછા એક ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત સહિતના બાયો ઈનપુટ્સ બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે તેમજ જમીનની તંદુરસ્તી જાળવી શકાય છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR