


છોટાઉદેપુર, 09 ઓગસ્ટ (હિ.સ.) : પાવીજેતપુર ખાતે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન શ્રદ્ધાંજલિ સભા, પરંપરાગત રેલી, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સવારે આદિવાસી સમાજના લોકોએ પોતાના ગામના દેવસ્થાન ખાતે દર્શન કરી તથા તસવીરો લઈ કરી હતી. ત્યારબાદ સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં સસ્નેહ શ્રદ્ધાંજલિ તથા શોકસભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત લોકોએ સ્વ. મોહનસિંહ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ત્યાર બાદ પાવીજેતપુરના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ થઈ રતનપુર સેવા સદન સુધી વિશાળ પરંપરાગત રેલી યોજાઈ હતી. રેલીમાં સમાજના લોકો પરંપરાગત ખમ્મીસ, ધોતિયું અને પાઘડી સહિતની વેશભૂષામાં તેમજ પરંપરાગત વાજિંત્રો સાથે જોડાયા હતા. ડીજેના તાલે ટીમલી સહિતના પરંપરાગત આદિવાસી નૃત્યો રજૂ કરી યુવાનો સહિત સમાજના લોકોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
રેલી દરમિયાન બીયર સામુંડા, મહાત્મા ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી નમન કરવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહેલા આદિવાસી સમાજે પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો સંદેશ પણ આ ઉજવણી થકી આપ્યો હતો.
કાર્યક્રમના અંતિમ ચરણમાં પહોંચતા આદિવાસી સમાજના હક્કો અને અધિકારો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ સમગ્ર આયોજન પાવીજેતપુર સ્વામિનારાયણ મંદિર નજીક સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પાવીજેતપુરમાં પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને રેલીથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ