
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમો હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા સંબંધિત કાયદામાં આ માટે મહત્વનો સુધારો કર્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ કરાયેલા સુધારા બાદ માત્ર સમયમર્યાદાના કારણસર પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી આવા એકમોને બંધ કરાવી શકશે નહીં. જોકે, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીને લગતા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ભાડા સુધારા વિધેયક રજૂ ગૃહમાં પસાર થઈ ગયું છે. આ સાથે જ હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો જેવા એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે. પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને તેને કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે.
મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે.
જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે.
નવા સુધારા બાદ આ સમયમર્યાદા દૂર થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ