



કચ્છ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) અંજાર શહેરમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓ માટે જ્ઞાન અને અભ્યાસની નવી સુવિધાનો ઉમેરો થયો છે. અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત બનાવવા સાથે વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલું આ પુસ્તકાલય આગામી સમયમાં જ્ઞાનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે શાળા અને કોલેજોની નજીક પુસ્તકાલય જેવી જ્ઞાનસભર સુવિધા ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે. પુસ્તકાલયમાં વિવિધ વયજૂથ અને જુદા જુદા વિષયોમાં રસ ધરાવતા વાચકોને ઉપયોગી બને તેવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવા તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ ભવિષ્યમાં આ પુસ્તકાલયને ઈ-લાઇબ્રેરી તરીકે વિકસાવીને ડિજિટલ જ્ઞાનના ક્ષેત્રમાં પણ આગળ લઈ જવાની દિશામાં પ્રયાસો કરવા તેમણે સૂચન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા ‘વાંચે ગુજરાત’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. એ જ ભાવનાને આગળ વધારી અંજારમાં પુસ્તકાલયની સુવિધા ઉભી થવાથી શહેરના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસને વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા લોકસુખાકારી અને વિકાસલક્ષી કામગીરીને સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અંજાર નગરપતિ ધર્મિષ્ઠા ખાંડેકાએ જણાવ્યું હતું કે કોલેજની નજીક પુસ્તકાલય શરૂ થવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ઉપરાંત સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો સરળતાથી મળી રહેશે.
રાજકોટ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક અનિષા સુમરાએ પુસ્તકાલયને માત્ર ઇમારત નહીં પરંતુ જીવંત જ્ઞાનકેન્દ્ર ગણાવી વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, સંશોધકો અને સાહિત્યપ્રેમીઓને તેનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી હતી.
લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ પરેશ માલસત્તર, પ્રકાશ લોદરીયા, બલરામ જેઠવા, આશિષ ઉદવાણી, ગીરીશ પરમાર સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, સ્થાનિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar