



- કર્ણાટક સીમા પર સ્થાનિકે ભગવા કલરની શાલ અને 511 રૂપિયા આપી કાવડયાત્રીઓનું સન્માન કર્યું
- 15 સભ્યોના ગ્રુપમાંથી 9 જણે કાવડ ઉપાડી અને 6 યુવાનોએ યાત્રા દરમિયાન સેવાદારી નિભાવી
ભરૂચ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : ધાર્મિક આસ્થા અને કઠિન ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં હાંસોટ તાલુકાના સાહોલ ગામના ભક્તો દ્વારા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. કુલ 15 સભ્યોની ટીમમાંથી 9 કાવડયાત્રીઓએ પગપાળા ચાલીને કાવડ યાત્રા પૂર્ણ કરી હતી, જ્યારે 6 સભ્યોએ યાત્રા દરમિયાન નિઃસ્વાર્થ સેવા આપી હતી. યાત્રા પૂર્ણ કરી નિજ ગામે પરત ફરેલા તમામ 15 કાવડયાત્રીઓનું સાહોલ ગામજનો દ્વારા ભવ્ય અને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાહોલ ગામથી કાવડ્યાત્રીઓએ કાવડ યાત્રાની શરૂઆત 11/08/26 ના રોજ કરી હતી. કુલ 25 દિવસમાં 1164 કિલોમીટર અંતર કાપી કર્ણાટકમાં મલ્લિકાર્જુન મહાદેવના શિવલિંગ ઉપર માઁ નર્મદાના જળનો જળાભિષેક કર્યો હતો. મલ્લિકાર્જુન મહાદેવને જળ અભિષેક 07/09/26 તારીખે કર્યો અને પૂજા વિધિ કરી પરત તેમના ભરૂચ જિલ્લાના હાંસોટના સાહોલ ગામે પહોચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ સાહોલના કાવડયાત્રીઓ પગપાળા જતા હતા ત્યારે કર્ણાટક સીમા પર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચતા પહેલા જ સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભાઈઓ દ્વારા કાવડ યાત્રીઓનું ભગવા કલરની શાલ ઓઢાડીને તથા રૂ. 511 આપી વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં યોજાયેલા આ સ્વાગતે યાત્રીઓનો ઉત્સાહ બેવડાવી દીધો હતો.
પદયાત્રા પૂર્ણ કરીને સાહોલ ગામે પહોંચેલા 15 કાવડયાત્રીઓનું ગામજનો દ્વારા વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોના પરત આગમનથી સમગ્ર સાહોલ ગામમાં તહેવાર જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન અને કાવડ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બમણો થયો છે. કાવડયાત્રીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષની સફળ યાત્રા બાદ હવે તેઓ આગામી વર્ષે બાબા કેદારનાથના ધામે પગપાળા કાવડ યાત્રાએ જવાનો મક્કમ નિર્ધાર કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ