
બોગોટા, નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) કોલંબિયાના સ્ટાર મિડફિલ્ડર જેમ્સ રોડ્રિગ્ઝે, મંગળવારે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પછી રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. 35 વર્ષીય રોડ્રિગ્ઝે ઉત્તર અમેરિકામાં યોજાયેલા તાજેતરના ફીફા વિશ્વ કપ પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો.
રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કહ્યું, ઘણા વર્ષો, મેચો, ખુશીની પળો અને મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી મને લાગે છે કે હવે મારા જીવનના એક અધ્યાયને બંધ કરવાનો સમય આવી ગયો છે—કોલંબિયાની રાષ્ટ્રીય ટીમ સાથેની મારી સફર. આ જર્સી પહેરવી એક સ્વપ્ન હતું, પરંતુ તે એક ખૂબ મોટી જવાબદારી પણ હતી.
રોડ્રિગ્ઝે 2011માં લા પાઝમાં બોલિવિયા સામેની જીત દરમિયાન કોલંબિયા માટે પદાર્પણ કર્યું હતું. જોકે, 2014ના ફીફા વિશ્વ કપમાં તેમના શાનદાર પ્રદર્શને તેમને વૈશ્વિક ઓળખ અપાવી. તેમણે ટુર્નામેન્ટમાં ગોલ્ડન બૂટ જીત્યો અને તે પછી સ્પેનના દિગ્ગજ ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાયા. રિયલ મેડ્રિડ સાથે તેમણે બે લા લીગા ખિતાબ જીત્યા. આ ઉપરાંત, તેઓ બાયર્ન મ્યુનિખ અને એવર્ટન માટે પણ રમી ચૂક્યા છે.
તેમણે કહ્યું, હું તે પળોને જીવવા માટે ભાગ્યશાળી રહ્યો, જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી—વિશ્વ કપ, ગોલ અને અવિસ્મરણીય રાતો; એવી જીત જેણે અમને વિશ્વાસ કરવાનું શીખવ્યું અને એવી હાર જેણે અમને મજબૂત બનાવ્યા.
રોડ્રિગ્ઝે કહ્યું, જ્યારે મેં રાષ્ટ્રીય ટીમ સાથે સફર શરૂ કરી હતી, ત્યારે મારી ઈચ્છા હતી કે જ્યારે હું આગળ વધું ત્યારે ટીમની જર્સીને પહેલાં કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છોડીને જાઉં. પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે મેં આ હાંસલ કર્યું.
તેમણે આગળ કહ્યું, મને નંબર 10ની જર્સી અને કેપ્ટનનો આર્મબેન્ડ પહેરવાનું સન્માન મળ્યું. મેં તેને સન્માન, જવાબદારી અને એ વાતની સમજ સાથે નિભાવવાનો પ્રયાસ કર્યો કે કોલંબિયાનું પ્રતિનિધિત્વ કરવાનો શું અર્થ છે. મારા સારા દિવસો પણ રહ્યા અને મુશ્કેલ દિવસો પણ, પરંતુ મને આ રંગો પર ગર્વ અનુભવવાનું ક્યારેય બંધ થયું નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ્રિગ્ઝે ઘણા ક્લબ માટે રમ્યા. તેમણે ઓલિમ્પિયાકોસ, સાઓ પાઉલો, રાયો વાલેકાનો, ક્લબ લિયોન અને મિનેસોટા યુનાઇટેડ માટે પણ રમ્યા. વર્તમાન સિઝન પહેલાં તેઓ કોલંબિયાના ક્લબ એટલેટિકો નેશનલ સાથે જોડાયા હતા.
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહેતા રોડ્રિગ્ઝે કહ્યું, હું પૂરી શાંતિ સાથે જઈ રહ્યો છું, કારણ કે મને ખબર છે કે મેં મારું બધું જ આપ્યું. દરેક યાદ, દરેક આલિંગન અને દરેક પળ માટે આભાર.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ