



કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લાની ઇન્સ્કૂલ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને રમતવીરો માટે યોગ તથા ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 3321 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આત્મસાત કર્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય, એકાગ્રતા અને આંતરિક શાંતિનું મહત્વ સમજાવવાનો હતો. સત્ર દરમિયાન સહભાગીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓ કરાવવામાં આવી હતી. યોગાભ્યાસથી શરીરની લવચીકતા, સંતુલન અને સ્ફૂર્તિ જાળવવામાં કેવી રીતે મદદ મળે છે, જ્યારે ધ્યાનથી મનને સ્થિર રાખવા અને તણાવ ઘટાડવામાં કેવી રીતે ઉપયોગીતા રહે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને રમતવીરોએ સમગ્ર સત્ર દરમિયાન સક્રિય ભાગીદારી દર્શાવી હતી. નિયમિત યોગ, કસરત અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાથી શરીર અને મન બંનેને સ્વસ્થ રાખી શકાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રમતગમત સાથે જોડાયેલા યુવાનો માટે શારીરિક ક્ષમતા જેટલી મહત્વની છે, તેટલી જ એકાગ્રતા અને માનસિક સંતુલનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
આ સાથે ‘ફિટ ઇન્ડિયા’ અંતર્ગત રમતગમત સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કબડ્ડી, ખો-ખો, દોડ સહિતની વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને શારીરિક કસરતો યોજાઈ હતી. યુવા ખેલાડીઓએ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક, સહકાર અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાના વિકાસ પર ભાર મૂકાયો હતો.
કચ્છની ઇન્સ્કૂલ શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમોએ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓમાં યોગ, ધ્યાન, કસરત અને રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ પહોંચાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar