
- પ્રાકૃતિક ખેતી અને આધુનિક નર્સરી દ્વારા સ્વરોજગારીનો રાહ: કેવડીમાં ખેડૂત અભ્યાસ પ્રવાસ કાર્યક્રમ યોજાયો
- સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને આધુનિક નર્સરી વ્યવસાય માટે પ્રેરિત કરાયા
રાજપીપળા,02 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદાજિલ્લાનાં ચિકદા તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા કેવડી ગામના ખેડૂત રમેશ નંદાભાઇ વસાવાના મોડેલ ફાર્મ તથા નર્સરી યુનિટની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક, ટકાઉ અને આવકવર્ધક ખેતી તરફ વાળવાનો તેમજ પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મના મુખ્ય આકર્ષણ:
અભ્યાસ પ્રવાસ દરમિયાન ખેડૂતોને જમીન અને જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને આંતરપાક, મિશ્રપાક અને પાક વૈવિધ્યકરણનું ઉત્તમ મોડેલ બતાવવામાં આવ્યું હતું. આ સાથે ગૌ-આધારિત ખેતીનું મહત્વ, રસાયણિક ખાતરો અને જંતુનાશકોના દેશી વિકલ્પો તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડી બજાર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી.
આધુનિક શાકભાજી નર્સરી અને આંબાની કલમ અંગે પ્રત્યક્ષ તાલીમ:
નર્સરીની મુલાકાત દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજની પસંદગી, પ્રો-ટ્રે અને કોકોપીટના માધ્યમથી રોપા તૈયાર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. ઉપરાંત, આંબાની કલમ બનાવવાની આધુનિક ટેકનિકો જેવી કે વેજ ગ્રાફ્ટિંગ અને સોફ્ટવુડ ગ્રાફ્ટિંગ અંગે પ્રત્યક્ષ પ્રદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં આ ફાર્મ પર સ્થાનિક સ્તરે ટામેટી, મરચી, રીંગણ, ફ્લાવર અને કોબીજના ગુણવત્તાયુક્ત રોપાઓનું સફળતાપૂર્વક ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.
નર્સરી અને કલમ બનાવવાની પ્રવૃત્તિને ખેડૂતો પોતે અપનાવીને વધારાની આવક અને સ્વરોજગારનો સ્ત્રોત ઊભો કરી શકે તે માટે આ મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન દેડિયાપાડા તાલુકાના એ.ટી.એમ. એ.એમ.વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ