
તેહરાન, નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, મંગળવારે સાંજે દેશના દક્ષિણી ભાગમાં એક ઘરમાં ચાલી રહેલી લગ્નની પાર્ટી પર થયેલા હવાઈ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ એક્સ પર કહ્યું કે, દક્ષિણી હોર્મોઝગન પ્રાંતના સિરિક જિલ્લાના કુહેસ્તકમાં લગ્નના ઘરમાં રાત્રે ભયંકર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં લગ્નના જશ્નમાં ડૂબેલા 50થી વધુ પુરુષો, મહિલાઓ અને બાળકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.
સીબીએસ ન્યૂઝ ના રિપોર્ટ અનુસાર, અમેરિકી અધિકારીઓએ ઈરાનના વિદેશ મંત્રાલયના આરોપ પર કોઈ ટિપ્પણી કરી નથી. બકાઈએ આ કથિત હુમલાને અમેરિકી અત્યાચાર અને જુલમની એક વધુ કડી ગણાવી. તેમણે કહ્યું કે, યુદ્ધની શરૂઆતમાં મિનાબની એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ડઝનબંધ બાળકો માર્યા ગયા હતા.
બકાઈએ કહ્યું, બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક છે થોડા દિવસો પછી બધું સામાન્ય થઈ જવું. મૌન કરતાં પણ વધુ ખતરનાક છે મૌનને યોગ્ય ઠેરવવું. ઈરાન આ બર્બર અપરાધોનો સખત જવાબ આપશે. તેમણે ચેતવણી આપી કે, જે લોકો આજે મૌન છે, તેઓ કાલે તેના પરિણામોથી બચી શકશે નહીં. અન્યાય આંખો મીંચી દેવાથી અટકતો નથી. તેનાથી તો બસ અપરાધીઓ વધુ બેફિકર બની જાય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ