
મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.)
વડનગરની ઐતિહાસિક ધરતી પર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-2026’ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, દર્શનાબેન વાઘેલા અને સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ ભગવાન શિવની આરાધના કરી યાત્રામાં જોડાઈ કલાકારો તથા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ડમરુ યાત્રામાં 108 કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરી શિવભક્તિનો અનોખો નાદ ગુંજાવ્યો હતો. કીર્તિ તોરણથી શરૂ થયેલી યાત્રા અર્જુન બારી, ભગત પાનઘર, જૂના ચાચર, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ દરમિયાન ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. સાબરકાંઠા સહિત વિવિધ વિસ્તારોમાંથી આવેલા શિવભક્તોએ પણ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યાત્રાના અંતે મંત્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીઓએ મ્યુઝિક મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR